એ સમયમાં ઉતથ્ય નામના એક ઋષિ હતા. તેમની પત્નીનું
નામ મમતા હતું. તે અત્યંત રૂપવતી હતી. મમતા ચાલતી તો આશ્રમમાં તેની સુગંધ
પ્રસરી જતી. મમતાનું રૂપ જોઈ તેના પતિના નાના ભાઈ મહાતેજસ્વી બૃહસ્પતિ મોહિત થઈ
ગયા. બૃહસ્પતિ દેવતાઓના પણ પુરોહિત હતા. બૃહસ્પતિએ સ્વરૂપવાન ભાભી મમતાના રૂપની
પ્રશંસા કરી તેની સાથે કામક્રીડા કરવાની ઈચ્છા પ્રગટ કરી.
એ સાંભળીને મમતાએ કોમળ સ્વરમાં કહ્યું : ''હે દેવરજી! હું તમારા મોટા ભાઈ સાથેના સહવાસથી
હાલ ગર્ભવતી છું. મારા ગર્ભમાં ઊછરતું સંતાન મહાતેજસ્વી છે. એણે ઉદરમાં જ
વેદનો અભ્યાસ કરી લીધેલો છે. તેથી મારી પ્રાર્થના છે કે તેને એક વાર જન્મ લઈ લેવા
દો.''
પરંતુ બૃહસ્પતિ કામુક થઈ ગયા હતા. તેઓ પ્રતીક્ષા
કરવા તૈયાર નહોતા. બૃહસ્પતિ તેમની ઈચ્છામાં અડગ રહ્યા ત્યારે ઉદરમાં રહેલા બાળકે
ગર્ભમાંથી જ કહ્યું: '' હે પૂજ્યવર! અત્યારે ગર્ભમાં એટલું સ્થાન નથી
કે એક બીજું બાળક ઊછળી શકે. આપ ઈચ્છા છોડી દો અને મને પણ હાનિ કરવાનું કામ ના
કરો.''
ઉદરમાં રહેલા બાળકની વાત દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ
સાંભળી, પરંતુ કામોન્માદના કારણે
અંધ થઈ ગયા હતા. તેમણે તેમની ભાભી મમતા સાથે રમણ કર્યું. પરંતુ મમતાના ઉદરમાં
રહેલા બાળકે બૃહસ્પતિના જીવન સત્વને ધકેલી દીધું. આ વાત પર ક્રોધીત થયેલા દેવોના
પુરોહિત બૃહસ્પતિએ ઉતથ્ય ઋષિના જન્મનાર બાળકને શ્રાપ આપ્યોઃ ''હે મૂઢ બાળક! તારા આ વ્યવહારના કારણે તું
દીર્ઘતમા અર્થાત્ અંધ જ પેદા થઈશ.''
જ્યારે મમતાએ જન્મ આપ્યો ત્યારે બાળક જન્મથી જ
આંધળો પેદા થયો. એનું નામ દીર્ઘતમા પાડવામાં આવ્યું. દીર્ઘતમા પ્રચંડ વિદ્વાન હતો.
એણે પોતાની વિદ્યાની તાકાત ઉપર પ્રદ્વેષી નામની એક સુંદર બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન
કર્યું. પ્રદ્વેષીના ગર્ભથી ગૌતમ આદિ કેટલાયે પુત્રો પેદા થયા. એ જમાનામાં ભારતમાં
કેટલીક આશ્ચર્યજનક વિદ્યાઓ ઉપલબ્ધ હતી. તેમની એક વિદ્યા હતી ગોધર્મ અર્થાત
દૃષ્ટિપાત દ્વારા સંતાનો પેદા કરવા. એટલે કે દૃષ્ટિમાત્રથી બાળકો પેદા કરવા.
પંડિત દીર્ઘતમાએ સુરભિના પુત્ર પાસેથી આ વિદ્યા શીખી લીધી અને તે વિદ્યાને અમલમાં
મૂકી કુળવૃદ્ધિ કરવા માંડી. બીજા ઋષિઓને પંડિત દીર્ઘતમાનું આ આચરણ ગમ્યું
નહીં. તેમને લાગ્યું કે દીર્ઘતમા સમાજની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. ઋષિઓએ
દીર્ઘતમાને નિર્લજ્જ લેખી ત્યજી દીધો.
દીર્ઘતમાને કેટલાયે પુત્રો હતા, પરંતુ તે નિર્ધન હતા. સંતાનોને ખવરાવવા તેની પાસે
ધાન્ય નહોતું. આ વિષયમાં તેની પત્ની પ્રદ્વેષી હંમેશા તેનાથી નારાજ અને દુઃખી
રહેતી. એક દિવસ દીર્ઘતમાએ તેની પત્નીને પૂછયું: ''તું મારા પર આટલી બધી નારાજ કેમ રહે છે?''
પ્રદ્વેષીએ કહ્યું: ''હે સ્વામી! સમાજનો નિયમ છે કે પતિ જ પરિવારનું ભરણપોષણ કરે, તેથી તે ભર્તા કહેવાય છે. પરંતુ આપ તો અંધ
છો અને બાળકો પેદા જ કરે જાવ છો. ભરણપોષણ કરવાની જવાબદારી તમારી છે, પરંતુ તમે અંધ હોવાથી મારે જ બધાના ભરણપોષણની
જવાબદારી ઉપાડવી પડે છે. હું બાળકોને ઉછેરું છું, ને તમે તો સાવ નિશ્ચિત છો.''
પત્નીની આ વાત સાંભળી દીર્ઘતમાનો ક્રોધ ચઢયો. એમણે
કહ્યું: ''હે મૂઢ સ્ત્રી! તને કેટલું
ધન જોઈએ છે? ચાલ, હું તને કોઈ એક ક્ષત્રિય રાજા પાસે લઈ જાઉં છું
અને તારી ધનની ઈચ્છા પૂર્ણ કરી દઉં.''
પંડિત દીર્ઘતમાની ક્રોધભરી વાણી સાંભળીને
પ્રદ્વેષીએ પણ રોષભર્યા સ્વરમાં કહ્યું: ''હે વિપ્ર! એ રીતે તમારા દ્વારા મળેલું ધન કષ્ટદાયક જ હશે. મને તેની
જરૂર નથી. પણ હવે એક વાત સાંભળી લો કે, હવે હું તમારું ભરણપોષણ નહીં કરું. હું મારા અને પુત્રોના સુખ માટે
બીજો ભર્તા કરી લઈશ.''
પત્નીની બીજા પુરુષ સાથે ભરણપોષણ માટે લગ્ન કરી
લેવાની વાત સાંભળી પંડિત દીર્ઘતમા વ્યાકુળ થઈ ગયો કે હું જ અસમર્થ છું. માટે મારી
પત્ની મને છોડીને જઈ રહી છે. હું એને સુખ આપી શક્તો નથી તો તેની પર મારો અધિકાર
રહેતો નથી.''
આટલું મનોમંથન કર્યા બાદ દીર્ઘતમા બોલ્યોઃ ''થોભી જા, પ્રદ્વેષી. તું બીજા પુરુષને પતિ બનાવવાનો વિચાર છોડી દે. હું આજથી જ
સંસારમાં સ્થાપિત કરું છું કે, પત્ની મૃત્યુ પર્યંત તેના પતિને જ આધિન રહેશે. પતિ મૃત્યુ પામે તે
પછી કે તે પહેલાં કદીયે સ્ત્રી બીજા પુરુષનો પતિ તરીકે સ્વીકાર કરી શકશે નહીં. જે
સ્ત્રી આ મર્યાદાનું ઉલ્લંઘન કરશે તે પતિતા કહેવાશે. પતિહીન સ્ત્રીનું જીવન હર પળ
પાપથી ભરેલું હશે. આવી પતિતાઓ હંમેશા અપયશ અને નિંદાને જ પ્રાપ્ત કરશે.''
પંડિત દીર્ઘતમા બોલતા જ રહ્યા અને
પ્રદ્વેષીનો ક્રોધ આસમાને ચઢતો રહ્યો. તેણે વિચાર્યું કે, એક તો મારો પતિ અમારું ભરણપોષણ કરતો નથી અને મને
બીજો પતિ કરવાની ઈચ્છાના કારણે પતિતા કહે છે. એણે પતિની પત્ની માટેના સદાચારની
વ્યાખ્યાને ફગાવી દેતાં ક્રોધ કરી પોતાના પુત્રોને આજ્ઞાા કરીઃ ''તમારા પિતાને ગંગાના પ્રવાહમાં ફેંકી દો.''
ગૌતમ અને બીજા પુત્રોએ માતાની આજ્ઞાાનું પાલન કરતા
અંધ પિતા દીર્ઘતમાને ગંગામાં ફેંકી દીધા. દીર્ઘતમા ગંગાના ધસમસતા પ્રવાહમાં
તણાતા-તણાતા દૂર દૂર પહોંચી ગયા. ખૂબ જ દૂર નદીના કિનારે બલિ નામના ર્ધાિમક
રાજા સ્નાન કરી રહ્યા હતા. તેમણે જોયું તો ગંગાના પ્રવાહમાં કોઈક તણાતું આવે છે.
બલિ રાજાએ નદીમાં તણાઈ રહેલા અંધ દીર્ઘતમાને બહાર કાઢયા. તે પછી તેઓ
દીર્ઘતમાને પોતાના મહેલમાં લઈ ગયા. બલિ રાજાએ પરિચય પૂછયો. તેમને જ્યારે ખબર પડી
કે આ તો પ્રકાંડ વિદ્વાન દીર્ઘતમા છે એટલે બલિ રાજાએ બે હાથ જોડી પ્રાર્થના કરીઃ '' હે મહાત્મા! આપ તો ધર્મને જાણવાવાળા
મેધાવી વિદ્વાન છો. આપ અનેક રહસ્યમય વિદ્યાઓના જાણકાર છો. મારી ઈચ્છા છે કે, આપ મારી રાણીઓને કેટલાક ધર્માત્મા જેવા પુત્રો
પેદા કરી આપો.''
દીર્ઘતમાનું જીવન બલિરાજાએ બચાવ્યું હતું, તેથી તેઓ ઈન્કાર કરી શક્યા નહીં. તેમણે સંમતિ આપી.
તે પછી બલિ તેમના પત્ની સુદેષ્ણા પાસે ગયા અને વિદ્વાન દીર્ઘતમાથી ર્ધાિમક પુત્ર
પેદા કરવામાં સહયોગ કરવાની વાત કરી. એ વખતે રાણી સુદેષ્ણાએ રાજાની ઈચ્છા
સ્વીકારી લીધી. રાત્રીના સમયે દીર્ઘતમા રાણી સુદેષ્ણા પાસે ગયા. વૃદ્ધ અને
અંધ દીર્ઘતમાને જોઈ રાણી સુદેષ્ણાને દીર્ઘતમા માટે ઘૃણા પેદા થઈ. તેઓ દીર્ઘતમાથી
દૂર ચાલ્યા ગયા અને પોતાના બદલે એક દાસીને દીર્ઘતમા પાસે મોકલી આપી. દીર્ઘતમાથી
દાસી ગર્ભવતી થઈ. એના ગર્ભથી દાસીને કાક્ષીવાન વગેરે અગિયાર વેદપાઠી પુત્રો પેદા
થયા.
આ બધા જ પુત્રો મોટા થયા ત્યારે રાજા બલિએ
કુતૂહલવશ થઈ દીર્ઘતમાને પૂછયું: ''હે મહાત્મા! શું અગિયાર
બાળકો મારા પુત્રો જ છે ?''
દીર્ઘતમાએ કહ્યું : ''નહીં રાજન! આ મારાથી તમારી દાસીના ઉદરમાંથી પેદા થયેલા પુત્રો છે.
તમારી રાણીએ મારો અસ્વીકાર કરીને દાસીને મારી પાસે મોકલી આપી હતી. વસ્તુતઃ એ તમારા
નહીં પરંતુ મારા જ પુત્રો છે.''
આ વાત સાંભળીને રાજા બલિને બહુ જ દુઃખ થયું.
તેઓ ફરી રાણી સુદેષ્ણા પાસે ગયા, અને વિદ્વાન દીર્ઘતમાથી
પુત્રો પેદા કરવા રાણીને રાજી કરી લીધાં. ફરી એક વાર રાણી સુદેષ્ણા એકાંતમાં
દીર્ઘતમા પાસે ગયાં. દીર્ઘતમાએ રાણી સુદેષ્ણાને માત્ર સ્પર્શ કરીને કહ્યું: ''હૈ સુંદરી! હવે તમને તમારા ઉદરથી અંગ, વંગ, કલિંગ, પૌંણ્ડ્ર અને સુહ્ય નામના પાંચ તેજસ્વી પુત્રો થશે. તેઓ
સૂર્યસમાન હશે. તે પાંચેય પુત્રો તેમના નામથી એકએક રાજ્ય પેદા કરશે.''
અને રાણી સુદેષ્ણાએ પાંચ પુત્રોને જન્મ
આપ્યો. તેઓ અંગ, વંગ, કલિંગ, પૌંણ્ડ્ર અને સુહ્યના નામે પ્રસિદ્ધ થયા અને
પ્રાચીન ભારતમાં તેમના જ નામે વિવિધ દેશો અસ્તિત્વમાં આવ્યા.
મહાભારત અને બીજા પ્રાચીન ગ્રંથોમાં આ બધા
રાજ્યોના નામનો ઉલ્લેખ આવે છે. યાદ રહે કે આ અત્યંત પ્રાચીન ભારતની કહાણી છે અને
હજારો વર્ષ પૂર્વે ભારતમાં આવી વિચિત્ર પ્રણાલિકાઓ પણ અસ્તિત્વમાં હતી.પ્રાચીન
ભારતના નીતિશાસ્ત્રની ભારતીય પૂરાણોમાં ઉપલબ્ધ આ એક કલાસિક કથા છે.